માથ્થી 15:1-20
Gujarati: પવિત્ર બાઈબલ
દેવની આજ્ઞા અને મનુષ્યએ બનાવેલ નિયમો
(માર્ક 7:1-23)
15 પછી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું. 2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”
3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો? 4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’(A) અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’(B) 5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ 6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે. 7 તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:
8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,
પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.
9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે.
તેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.’”(C)
10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું, “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો. 11 મનુષ્ય જે ખોરાક ખાય છે, તેથી તે અપવિત્ર થઈ જતો નથી, પરંતુ તેના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે છે તેનાથી તે અશુદ્ધ બને છે તેનાથી તે અપવિત્ર થાય છે.”
12 ત્યારે શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, “શું તમને ખબર છે કે તમારી આ વાતથી ફરોશીઓ ગુસ્સે થયા છે?”
13 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા આકાશમાંના બાપે રોપ્યાં નહિ હોય એવા દરેક છોડને મૂળમાંથી ઉખાડી નાંખવામાં આવશે. 14 માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”
15 પિતરે ઈસુને વિનંતી કરી કહ્યું, “અગાઉ લોકોને આપેલ દૃષ્ટાંતનો અર્થ સમજાવો.”
16 ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે? 17 શું તમે નથી જાણતાં કે જે ખોરાક તમારા મોંમાં જાય છે તે પેટમાં જાય છે. પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગટરમાં જાય છે. 18 પરંતુ જે શબ્દો વ્યક્તિના મોંમાંથી નીકળે છે તે જે રીતે વ્યક્તિ વિચારે છે તેનું પરિણામ છે. આ શબ્દો માણસને અસ્વચ્છ બનાવે છે. 19 કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે. 20 માણસને આજ વસ્તુ અપવિત્ર બનાવે છે. હાથ ધોયા વિના ખાવાથી કંઈ અશુદ્ધ થવાતું નથી.”
Read full chapterGujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International